વાસ્તુ શાસ્ત્રમાં એવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના પાલનથી ઘરમાં રહેતા લોકો શાંતિપૂર્ણ જીવન પસાર કરી શકે છે. આ નિયમ એવા છે જે દરેક આવાસ એટલે કે ઘરને લાગુ પડે છે. આ 10 સરળ પ્રયોગ છે જેનુ અનુકરણ કરવાથી સુખી, સ્વસ્થ જીવન જીવી શકાય છે.
સરળ વાસ્તુ ટીપ્સ
- ઘરમાં નિયમિત રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા હંમેશા પૂર્વાભિમુખ થઈને કરવી જોઈએ. જો પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી શક્ય ન હોય તો જાતકે ઉત્તર દિશા તરફ મુખ રાખવું. આ ઉપરાંત ઘરમાં સવારે અને સાંજે ઘીનો દીવો અચૂક કરવો.
- સંધ્યા સમયે ઘરના દરેક રૂમમાં લાઈટ જરૂર કરવી. થોડીવાર પછી ભલે તમે લાઈટ બંધ કરો પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરને પ્રકાશિત અચૂક કરવું.
- ઘરમાં સવારે અને સાંજે ધૂપ કરવો. આ ધૂપમાં ચપટી ચોખા અને ઘી પણ ઉમેરવા. આ નિયમ જે ઘરમાં રોજ પાળવામાં આવે છે ત્યાં આધિ-વ્યાધિ-ઉપાધિ આવતાં નથી.
- ઘરમાં તુલસીનો છોડ જરૂરથી રાખવો. સવારે તુલસીમાં નિયમિત જળ ચઢાવવું અને સંધ્યા સમયે ઘીનો દીવો કરવો. દાંપત્યજીવન હંમેશા સુખમય રહેશે.
- ઘરમાં બનતા ભોજનમાંથી પહેલી રોટલી અને અન્ય વસ્તુઓ સ્ત્રીઓએ ગાય માટે કાઢવી અને પોતાના હાથથી ખવડાવી પણ દેવી.
- ઘરમાં કોઈપણ તુટેલી વસ્તુઓ કે ખરાબ થયેલી વસ્તુઓ ન રાખવી. આવી વસ્તુઓના કારણે માનસિક ચિંતામાં વધારો થાય છે અને દરિદ્રતા પણ વધે છે.
- ઝાડૂ ક્યારેય ઊભુ ન રાખવું. આ ઉપરાંત તેને એવી જગ્યાએ પણ ન રાખવું કે જેનાથી તેના પર કોઈનો પગ પડે. આમ કરવાથી ઘરમાં ક્લેશ વધે છે.
- ઘરનો ઈશાન ખૂણો હંમેશા સાફ રાખવો. આ ખૂણામાં મંદિર જ બનાવવું જોઈએ. પરંતુ જો તૈયાર લીધેલા મકાનમાં મંદિર રાખી શકાય તેવી વ્યવસ્થા ન હોય તો આ ખૂણામાં ગંગાજળ ભરેલુ પાત્ર રાખી શકાય છે.
- ઘરના મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ ન રાખવી. આ ઉપરાંત ઘરમાં ગણપતિની ત્રણ મૂર્તિઓ પણ ન રાખવી જોઈએ.
- ઘરમાં કાંટાવાળા છોડ ન ઉગાડવા. આવા છોડના કારણે અશાંતિનું વાતાવરણ વધે છે.